ઝારખંડના ચક્રધરપુરમાં આજે (30 જુલાઈ) વહેલી સવારે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઝારખંડના ચક્રધરપુર નજીક મુંબઈ હાવડા મેલ માલગાડી સાથે ટક્કર થયા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. અને છ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના રાજખારસ્વાન અને બડાબામ્બો વચ્ચે બની હતી.
ડ્રાઇવરની સમજદારીને કારણે મોટી દુર્ઘટના થતા ટળી
રેલ્વેના જણાવ્યાનુસાર, આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હોત, જોકે હાવડા મેલના ડ્રાઈવરની સમજદારીને કારણે કોઈપણ મુસાફરનું મોત થયું નથી. રેલ્વે અધિકારીઓના જણાવ્યાનુસાર સવારના લગભગ પોણા ચાર વાગ્યે ચક્રધરપુર રેલવે ડિવિઝન પર ઈમરજન્સી એલર્ટ આવ્યું હતું. હાવડાથી મુંબઈ જતી મેલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચારથી ઓફિસમાં ખળભળાટ મચી ગયો હતો.