
ગાંધીનગર સિવિલ હોસ્પિટમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં તમિલનાડુ સ્થિત પરિવારને જાણ કરી પોલીસે તપાસ આદરી
ગાંધીનગર : ગાંધીનગરમાં સિનીયર સનદી અધિકારીના પત્નીએ તારીખ ૨૦મીએ ઝેરી દવા ગટગટાવી લીધા બાદ તારીખ ૨૧મીએ સવારે સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયુ હતું. આપઘાતના આ બનાવમાં પોલીસ દ્વારા તમિલનાડુ સ્થિત તેના પરિવારજનોને જાણ કરવાની સાથે તપાસ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે મૃતકની બેભાનાવસ્થાને કારણે તેમનું મરણોન્મુખ નિવેદન લઇ શકાયુ ન હતું.
જર્ક, ગુજરાત વિજ નિયમન પંચમાં સેક્રેટરી એવા સિનીયર આઇએએસ ઓફિસર રણજીતકુમારના પત્ની સુર્યાબહેને પાટનગરમાં સેક્ટર ૧૯માં ઝેરી દવા પી લઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બેભાન હાલતમાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરીને તેમની સારવાર શરૃ કરવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસ સહિતના સરકારી તંત્રના અધિકારીઓ રીતસર દોડતાં થઇ ગયા હતાં. પોલીસ ઉપરાંત મામલતદાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પરંતુ તેઓ બેભાન હોવાના કારણે પોલીસ તેમનું નિવેદન લઇ શકી ન હતી. ઉપરાંત મામલતદાર ડાઇંગ ડેક્લેરેશન લઇ શક્યા ન હતાં.
દરમિયાન તારીખ ૨૧મીએ સવારે સુર્યાબહેનનું મૃત્યુ થયુ હતું. પોલીસ દ્વારા આ સંબંધે તમિલનાડુ સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ગાંધીનગર આવ્યા બાદ પોલીસ દ્વારા મૃતદેહ સોંપવામાં આવશે. ત્યારે નોંધવું રહેશે કે અણબનાવના કારણે આ પતિ, પત્ની જુદા રહેતા હતાં. બીજી બાજુ પોલીસ દ્વારા સુર્યાબહેનના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.