જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા શ્રી જે.આર.મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક,અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક આણંદ દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવાના હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી સી.પી. ચૌધરીના માર્ગદશન હેઠળ શ્રીમતી.એસ.આઇ.પટેલ ઇપ્કોવાલા કોલેજ ઓફ કોમર્સ પેટલાદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.જી.ચૌધરી, એએસઆઈ મુસ્તકીમ મલેક, સાયબર પ્રમોટર વીરેન જોષી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે?, સાયબર ક્રાઈમના પ્રકારો, સોશીયલ મીડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થતી સાયબર સીક્યુરીટી અને સાયબર સેફટીની બાબતે, સાયબર ક્રાઈમથી બચવા માટે રાખવાની થતી સાવધાની, સાયબર ક્રાઈમની ફરીયાદ કેવી રીતે કરવી તેનું વિસ્તૃત માર્ગદર્શન આપી તેમણે સાયબર ક્રાઇમ થાય ત્યારે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવા પણ જણાવવામાં આવ્યું હતુ.
આ સાયબર અવેરનેસ કાર્યક્રમમાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, શ્રીમતી.એસ.આઇ.પટેલ ઇપ્કોવાલા કોલેજના આચાર્યશ્રી,તેમજ કોલેજનો તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.