
મહેસાણાઃ વિજાપુરમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મૂળ વિજાપુરનો અને હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો યુવક ઘરે જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. જેથી યુવકના પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ પરિવારે મૃતદેહ પોતાના દીકરાનો હોવાનું માનીને તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ કરી દીધું હતું. જોકે, બેસણાના બીજા દિવસે આ યુવક ઘરે આવતાં બધા ચોંકી ઊઠ્યા હતા. વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો બિઝનેસ કરે છે. તે 27 ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો, જેથી તેના પરિવારજનોએ નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં બ્રિજેશના પરિવારને ઓળખ બોલાવવામાં આવ્યો હતો. પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે મૃતદેહ પોતાના દીકરાનો હોવાનો જણાવી ઘરે લઈ આવ્યા હતા અને તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા. આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું, જોકે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતાં સૌકોઈ ચોકી ઊઠ્યા હતા. પરિવારજનો મૂંઝવણમાં મુકાયા હતા કે તેમનો બ્રિજેશ તો જીવતો છે તો તેઓ કોના અંતિમસંસ્કાર કરી આવ્યા? હાલ પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે.