અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે. શહેરમાં માથાભારે તત્ત્વોને કાયદોનો ડર રહ્યો જ નથી. થોડા સમય પહેલાં ઘાટલોડિયાની સાસાયટીમાં ઉઘાડી તલવારો લઇને આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોને પોલીસે પાઠ ભણાવ્યો હતો. તેમછતાં શુક્રવારે અમરાઇવાડી વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોએ તલવારો અને લાકડી-દંડા તથા પાઈપો વડે તેમણે દુકાનો, વાહનોમાં તોડફોડ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી.
બીજી એક ઘટના અમદાવાદના જૂના વાડજમાંથી સામે આવી છે. જેમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખી અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં રીતસર આતંક મચાવતાં વાહનોની તોડફોડ કરી હતી. જેના લોકો સ્થાનિક લોકો ફફડી ઉઠ્યા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 18 ઓક્ટોબરે અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં યુપી-બિહાર જેવા આતંકના દ્વશ્યો જોવા મળ્યા હતા. એક મહિના જૂની અદાવતમાં કેટલાક ગુંડાતત્ત્વોએ જૂના વાડજની રામકોલોનીમાં ઘૂસી જઇને વાહનોના કાચ તોડી ભયનો માહોલ પેદા કર્યો હતો. સ્થાનિક રહીશો ડરી ગયા હતા અને ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. વાત જાણે એમ હતી કે મહિના અગાઉ કનુ ભરવાડના નામના વ્યક્તિએ લક્કી સરદાર, શની સરદાર, રાજુ ડાબોડી, જેબુભાઇ નામના ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિના પહેલાં કનુ ભરવાડ પોતાના મિત્ર સાથે જઇ રહ્યા હતા ત્યારે આ ચાર લોકોએ તેમની સાથે માથાકૂટ કરી પાઇપો વડે માર માર્યો હતો. જેથી કનુ ભરવાડે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ કનુ ભરવાડે બદલો લેવાના ઇરાદેથી શુક્રવારે પોતાના 30થી વધુ મિત્રો સાથે જૂના વાડજ ખાતે પહોંચ્યો હતો.
લક્કી સરદાર સહિતના લોકો ઘણા સમયથી ફરાર હતા જેથી કનુ ભરવાડે રામ કોલોનીમાં આતંક મચાવ્યો હતો. સોસાયટીમાં ઘૂસીને ગાડીઓના કાચ તોડ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ અધિકારીઓને કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેથી કનુ ભરવાડ અને તેના મિત્રો ઘટનાસ્થળેથી ફરાર થઇ હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
સીસીટીવીના આ દ્વશ્યો જોઇને બે ઘડી એવું લાગે છે કે આ ગુજરાત નહી યુપી-બિહાર છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે.એક મહિનામાં આ પ્રકારની ત્રણ થી ચાર ઘટનાઓ સામે આવી છે.