માણસા શનિવાર
નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવના બને માટે પોલીસ પેટ્રોલિંગમાં હોઈ છે ત્યારે તેનો લાભ ઉઠાવી ચોરો શક્રિય થયા છે.માણસા શહેરમાં મુખ્ય બજાર ચોક વિસ્તારમાં એક જ રાતમાં ચોરોએ ચાર દુકાનોના શટર તોડી નેવું હજારથી વધુની મત્તાની ચોરી કરી રફ્ફુચકાર થઈ ગયા હતા.
માણસા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતા વિનોદકુમાર રાજુભાઈ ત્રિવેદી શહેરમાં મુખ્ય બજારમાં આવેલ મીઠાના ચોક વિસ્તારમાં શાહ મંગળભાઈ નરોત્તમદાસ નામનો મેડિકલ સ્ટોર ચલાવે છે જેમાં બુધવારે રાત્રે ૧૦ વાગે તેઓ દુકાનને તાળું મારી ઘરે ગયા બાદ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ તેમની આ દુકાનને નિશાન બનાવી શટરના તાળા તોડી અંદર પ્રવેશી બધો સર સામાન વેરવિખેર કરી ડ્રોવરમાં મુકેલા ૩૨ હજાર રૃપિયા ની ચોરી કરી બાજુમાં આવેલ પટેલ હર્ષદભાઈ વિષ્ણુભાઈ ના તિરુપતિ પાન સેન્ટર ની દુકાનનું પણ તાળું તોડી તેમાંથી ૪૫૦૦ રૃપિયા રોકડા તથા પટેલ ગોરધનભાઈ ગાંડાભાઈ ની જય હિન્દ કિરાણા સ્ટોર નું પણ તાળું તોડી તેમાંથી ૨૦ હજાર રૃપિયાની રોકડ અને પટેલ કનૈયાલાલ વિઠ્ઠલદાસ ની સહકાર ડેરી પાર્લર માંથી ૩૫ હજાર મળી કુલ ૯૧,૫૦૦ રૃપિયા ની રોકડની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા તો વહેલી સવારે વિનોદકુમાર ના કારીગરે ફોન કરીને જાણ કરી હતી કે દુકાનનું શટર ખુલ્લું છે જેથી તેઓ તાત્કાલિક મેડિકલ સ્ટોર પર આવી જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું આ ઉપરાંત તેમની આજુબાજુની ત્રણ દુકાનોમાં પણ ચોરી થયાનું જણાતા તમામ વેપારીઓએ માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.